Leviticus 11

1યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, 2“ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.

3જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે. 4તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.

5સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે. 6અને સસલું: કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમારે માટે અશુદ્ધ છે. 7અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે. 8તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.

9જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. 10પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.

11કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે. 12પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.

13પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ, 14સમડી, દરેક પ્રકારના બાજ, 15દરેક પ્રકારના કાગડા, 16શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.

17ચીબરી, કરઢોક, ઘુવડ, 18રાજહંસ, ઢીંચ, ગીધ, 19બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.

20સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે. 21તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો. 22અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો. 23પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે.

24તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 25અને જે કોઈ તેઓના મૃતદેહને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

26જે પશુઓની ખરી ફાટેલી હોય પણ તેના બરાબર બે સરખા ભાગ થતા ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેમનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. 27ચાર પગવાળાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 28અને જે કોઈ તેમના મૃતદેહને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. આ પશુઓ તમારે માટે અશુદ્ધ છે.

29જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓમાંથી આ તમારા માટે અશુદ્ધ છે: નોળિયો, ઉંદર, દરેક પ્રકારની ગરોળી, 30ચંદન ઘો, પાટલા ઘો, ગરોળી, સરડો તથા કાચીંડો.

31સર્વ પેટે ચાલનારાં સર્પટિયાંઓમાં આટલાં તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 32અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈપણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા તાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું; તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે શુદ્ધ ગણાશે. 33જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું.

34જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. 35જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય.

36જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણાંમાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય. પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. 37જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે. 38પણ જો તે બિયારણ પર પાણી છાટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે, તો તે તમારે માટે અશુદ્ધ છે.

39જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 40અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

41જમીન પર પેટે ચાલતાં તમામ સર્પટિયાં નિષેધાત્મક છે; તે ખાવાં નહિ. 42સર્વ પેટે ચાલનારાં અને ચાર પગે ચાલનારાં અથવા વધારે પગોવાળાં, જમીન પર પેટે ચાલનારાં સર્વ પણ તમારે ખાવા નહિ, કારણ કે તે નિષેધાત્મક છે.

43કોઈ પણ પેટે ચાલનારાં સર્પટિયાંઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો; તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ. 44કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારાં કોઈ પણ સર્પટિયાંથી પોતાને અશુદ્ધ ન કરો. 45કેમ કે હું યહોવા છું, તમારો ઈશ્વર થવા માટે જે તમને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.

46આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે, તેઓ સંબંધી આ નિયમ છે. એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાનાં તથા નહિ ખાવાનાં વચ્ચે ભેદ રખાય.’”

47

Copyright information for GujULB